7 Feb 2026
શ્રી શૈલેષભાઇ પંડ્યા ની ગઝલ પરથી તરહી ગઝલ

7 Feb 2026

24 Jul 2023

સપના વિજાપુરા
22 Jul 2023

(મોહર્રમ ની આજ આઠમી તારીખ થઈ છે .)
1 Aug 2022

21 Jan 2025

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
– આદિલ મન્સૂરી જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮
સ્વ આદિલ મન્સૂરી નું મૂળ નામ ફરીદ મહંમદ ગુલામ નબી મન્સૂરી હતું. ભારતના ભાગલા પછી 1948 માં આદિલ મન્સૂરીના પિતા પાકિસ્તાન ગયા. આઠ વર્ષ સુધી પાકિસ્તાન રહ્યા પછી ભારત પાછા ફર્યા. પણ તે સમય દરમ્યાન તેઓ ભારતનું નાગરિકત્વ ગુમાવી બેઠા. વિસ વર્ષ સુધી આ નાગરિકત્વ મેળવવા કેસ ચાલ્યો. અને ફરી ભારત ખાસ કરીને અમદાવાદ છોડીને જવું પડ્યું . એ સમયે આંખોમાં આંસુ સાથે આ ગઝલ લખાઈ હતી. આ ગઝલ એમની ગઝલ સફર ની એક બેનમૂન ગઝલ સાબિત થઇ છે. વતન છૂટી જશે એની વેદના આખી ગઝલમાં જણાય આવે છે. કાબુલીવાલા ના એ ગીત એ મેરે પ્યારે વતન જો તમને રડાવી દે તો આ ગઝલ ચોક્કસ તમને રડાવી દેશે. આદિલ સાહેબને એક બહેને કહેલું કે આ ગઝલ સાંભળી હું રડી પડી. તો આદિલ સાહેબે કહ્યું કે મેં પણ એ રડતાં રડતાં જ આ ગઝલ લખી છે. અનિવાર્ય સંજોગોને હિસાબે અમદાવાદ છોડવું પડ્યું અને એ અમેરિકા આવી ગયા. આવો એમની આ ગઝલ નો આસ્વાદ આપણે માણીયે.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
અમદાવાદ એટલે સાબરમતી નદીની રેતમાં રમતું નગર! સાબરમતીને હવાને શ્વાસમાં ભરી લેતા કવિ આ શહેર ના દરેક દ્રશ્યને સ્મૃતિપટ પર જડી લેવા માંગે છે. ફરી વતન જવાનું મળે કે ના મળે આ બધાં દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે. ધીરેધીરે સ્મૃતિપટ થી વતનની નિશાનીઓ ભુલાતી જાય છે. ઝાંખી થતી જાય છે. કવિને આ પીડા જતા પહેલા અનુભવાઈ છે અને ગઝલ બને છે . વતન છોડીને જવાની વેદના દરેક શેરમાં જોવા મળે છે. અમદાવાદમાં વરસો રહ્યા પછી અમદાવાદ જ્યારે છોડવાનો સમય આવે છે. મરજીથી નહિ મજબૂરીથી વતન છોડવું પડે છે તેથી હૃદયમાં વેદના ઉદભવે છે. સાબરમરતી નદીને કિનારે આ વસતાં નગરને નજરમાં કેદ કરવા માંગે છે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
સાબરમતી નદીનો સુગંધનો દરિયો શ્વાસમાં ભરી લો. ફરી આ માટીની ભીની અસર મળે ના મળે. જે નદીના કિનારે જવાની વિતાવી. જ્યાં રહેવા માટે વિસ વર્ષની તપસ્યા કરી એ રેતમાં રમતું શહેર છોડવાનું કપરું કામ કરવાનું છે. નદીની ભીની ભીની માટીની સુગંધ શ્વાસોમાં ભરી લો. વતનની માટીની સુગંધ જેવી સુગંધ દુનિયાંમાં ક્યાંય નહિ મળે. નદીને કિનારે બેસીને કેટલાય સપનાં જોયાં હશે, એ છોડીને જવાનું! કોઈપણ વ્યક્તિને પોતાના વતનથી ખૂબ પ્રેમ હોય છે. મારો એક શેર અહીં ટાંકુ છું.
માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,
આવી વતનથી દૂર કારાવાસમાં.
એટલે વતન સિવાય બીજા કોઈ દેશમાં કારાવાસ જેવું જ લાગે છે. વતનની યાદ લઈને લોકો પરદેશ જતા હોય છે, એજ યાદનું ખેંચાણ એમને ફરી વતન તરફ ખેંચી જાય છે. એ મેરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન તુજપે દિલ કુરબાન.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
વહાલા પ્યારા , પરિચિત ચહેરાઓને ધરાઈને જોઈ લેવા દો. વતનથી દૂર ક્યાં એ હસતા ચહેરા અને મીઠી નજર જોવા મળવાની છે? પછી તો એ ચહેરા દુનિયાની ભીડમાં એવાં ખોવાઈ જવાનાં કે કદી જોવાં પણ નહિ મળે! તેથી ધરાઈને એ ચહેરા જોઈ લેવા દો . હૃદય વલોવી જાય જ્યારે ઘરનું આંગણ મજબૂરીમાં છોડવું પડે.નજરથી જ્યારે વ્હાલાના ચહેરા દૂર થઇ જાય, અને દિલ જાણતું હોય કે આ ચહેરા ફરી જોવા મળશે કે નહિ? એ મીઠી નજરથી વહેતી મીઠાશ ફરી માણવા મળશે કે નહિ? . જ્યારે વતનથી કાઢવામાં આવે ત્યારે આવી ગઝલ બને.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
દરેક યાદને દિલમાં અને આંખમાં છુપાવી લો. આ રસ્તા આ બારીઓ, આ ભીંતો ! પછી આ શહેર આ ગલીઓ અને આ ઘર મળે ના મળે. આ બધી નિર્જીવ વસ્તુઓ પર પણ માનવીને ખૂબ વહાલ થઇ જાય છે. ઘરની એકએક ઈંટ તમને વહાલી લાગતી હોય છે. વતન એ વતન છે. ભલે આંખોથી ઓજલ થાય પણ દિલમાં વસી રહે છે. જૂનું ઘર છોડતાં એકએક બારી એકએક ભીંતને સ્પર્શી લઈએ છીએ. શહેરના રસ્તાઓને યાદમાં વસાવી લો. દરેક રસ્તાઓમાં પણ સ્મૃતિ સમાયેલા હોય છે. કોઈ રસ્તા પર પ્રેમી પ્રેમિકા મળ્યાં હોય, કોઈ રસ્તા પર કોઈ તમારી મનગમતી પાણીપુરીની લારી ઊભી હોય! શું આ બધી સ્મૃતિને ભુલાવી શકાય? ફરી કદાચ વતન આવવાનું ના થાય. દિલથી વતન ક્યારેય ભુલાય નહિ. દરેક જણ વતન છોડતાં પોતાની આંખમાં વતનને સાથે લઈને જાય છે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
મિત્રોને, સગાવહાલાને સર્વ સંબધીઓ ને ગળે લગાડીને રડી લો. પછી તો ખબર નથી કે પાછાં ફરીએ તે વખતે કોણ હાજર હશે અને કોણ મૃત્યુને ભેટી ચૂક્યું હશે. ઘણી વખત તો વહાલાની કબર પણ મળશે નહિ! આમ પણ વહાલાઓથી છૂટાં પડીએ એટલે રડવું તો આવે . જો ખબર હોય કે કદી પાછા આવવાનું નથી તો ગળે વળગીને રડવું આવે કારણકે એ વ્યકતિને ફરી મળવાનું થાય કે ના પણ થાય!
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
મિત્રો અને સગાવ્હાલાઓ એરપોર્ટ પર ફૂલહાર લઈને વળાવા આવે છે. આ બધા ચેહરા આંખોમાં લઇને જાઉં છું. આ ચહેરા આંખોમાં ફર્યા કરશે. વહાલાંઓથી દૂર જવા છતાં આંખમાં એ ચહેરાઓ વસી જતાં હોય છે. દિલમાં દસ્તક દીધાં કરે છે.. પણ આ ચહેરાની હાજરી સતત સાથે રહેવાની! પછી ભલે સફરમાં કોઈ હમસફર મળે ના મળે. વ્હાલાઓનો સાથ હંમેશા રહેવાનો. વહાલાંઓની યાદ અને એમના ચહેરા નજર સામે આવી જશે. પછી હમસફર ના મળે તો પણ વહાલાંઓની યાદમાં સફર કપાઈ જશે ! કેટલો પ્રેમ કેટલી લાગણી છોડીને લોકો હિઝરત કરતાં હોય છે, પણ આવી કાળજા કોરી નાખે એવી ગઝલ ફક્ત આદિલ મન્સૂરી જ લખી શકે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
વતન છોડતાં પહેલા વતનની માટીથી માથું ભરી લઉં, ફરી આ ધૂળ ઉમ્રભર મળે ના મળે. વતનની મહોબત માથે ચડાવતા ધૂળથી માથું ભરી લઉં , કે માટીની ભીની સુગંધ ફરી મળે કે ના મળે. ઘણાં લોકો માટીને સાથે પણ લઇ જતાં હોય છે. અગર મૃત્યુ પરદેશમાં થાય તો વતનની માટી કબરમાં મૂકી શકે. વતન પ્રત્યેનો આદિલ સાહેબનો પ્રેમ શબ્દે શબ્દે વર્તાય છે. અમેરિકામાં રહેવા છતાં જેનું દિલ ભારત માટે તડપતું હતું એવા કવિ શ્રી આદિલ મન્સૂરી સાહેબના વતન ઝુરાપાને વર્ણન કરતી આ ગઝલને સલામ! સાથે સાથે ગઝલ લખનાર કવિને સલામ!
સપના વિજાપુરા
16 Jul 2024

14 Jul 2024

આજ મોહર્રમની બીજી તારીખ થઇ છે. ઇમામ હુસૈને કુફાનો રસ્તો છોડીને કરબલા તરફ રવાના થયા. એક એવી જગ્યા આવી જ્યાથી ઘોડાઓ આગળ જવાં માંગતા ના હતા. ઇમામ હુસૈને ત્યાંના રહેવાસીઓને પૂછ્યું,” આ જગ્યા આ શહેર કયું છે? ” લોકોએ કહ્યું,” આ નૈનવા છે.” ઇમામ હુસૈને ફરી પૂછ્યું,” આ જગ્યાનું બીજું કોઈ નામ છે?” લોકોએ કહ્યું કે આ મારિયા છે.” આપે ફરી પૂછ્યું,” એ સિવાય બીજું કોઈ નામ છે ?” કોઈએ કહ્યું,” આ જગ્યાને કરબલા પણ કહે છે.” ઇમામ હુસૈન ઘોડા પરથી ઉતરી ગયા અને સાથીઓને તંબુ નાખવા માટે કહ્યું. બીબી ઝયનબ જે ઇમામ હુસૈનના બહેન હતાં ,તેઓ પણ પાલખીમાંથી ઉતરી ગયાં અને ભાઈને કહ્યું,” ભાઈ મને આ જગ્યા બરાબર નથી લાગતી. આ જગ્યાએ મારું મન ઉદાસ થાય છે. ઇમામ હુસૈને કહ્યું બહેન આપણી મંઝિલ આવી ગઈ છે. ઝયનબે એક મુઠ્ઠી ખાક જમીન પરથી ઉપાડી અને સૂંઘી. પછી ભાઈને કહ્યું,” એ મારા માજાયા, મને આ ખાકમાંથી તમારા લોહીની ખુશ્બુ આવે છે. આપણે અહીંથી ચાલ્યાં જઈએ. ભાઈએ બહેનનો હાથ પકડીને કહ્યું,” બહેન, આ જગ્યાનું નામ નાનાએ અમ્માને કહેલું. આ જગ્યા પર તમારો આ ભાઈ કતલ થવાનો છે.” ઝયનબની આંખોમાંથી ચોધાર આંસું સરવાં લાગ્યાં.
નહેરે ફુરાત પર તંબુ તણાવા લાગ્યા. ઇમામ હુસૈને હુકમ આપ્યો કે સૌ પ્રથમ તરસ્યા ઘોડાને પાણી પીવડાવો. ઇમામને ખબર હતી કે ત્રણ દિવસના પ્યાસા આ જમીન પર શહીદ થવાનું છે. યઝીદના સાથી ઉંમરે સાદ પણ એના લશ્કર સાથે આવી ચડ્યો. ઇમામ હુસૈને એમને તથા એમના ઘોડાઓને પણ પાણી પીવડાવ્યું. ઇમામ હુસૈને પછી જેની આ જમીન હતી એની પાસેથી 60,000 દિરહમમાં ખરીદીને અલી અકબરના નામે કરી દીધી. અલી અકબર એમના અઢાર વર્ષના દીકરા હતા.પછી ત્યાંના રહેવાસીની સ્ત્રીઓ અને બાળકોને બોલાવીને ઇમામ હુસૈને જણાવ્યું કે આ જમીન પર અમારા પુરુષોને શહીદ કરવામાં આવશે અને અમારી સ્ત્રીઓને બંદી બનાવવામાં આવશે અને અમારી લાશો આ રણમાં રખડતી મૂકવામાં આવશે. આપ સર્વને વિંનતી છે કે અમારી લાશોને દફન કરી દેશો! જો તમારા પુરુષો આ કામ ના કરી શકે તો તમારા બાળકોને કહેશો કે એક એક મૂઠ્ઠી ખાક અમારા પર નાખી દે.
આ જંગમાં શહાદત ચોક્કસ હતી. પણ ઈમામ જ્યારે કરબલા પહોંચ્યા ત્યારે યજીદે કહ્યું કે મારી સામે ઝૂકો નહીંતર લડાઈ કરો. ઇસ્લામને બચાવવો હોય તો અને ઇસ્લામને એક શરાબી જુગારી અને રંડીબાજના હાથમાં ના સોંપવો હોય તો લડાઈ જરૂરી થઈ. એમની પાસે નાનાં મોટાં થઈને ૭૨ પુરુષો હતા અને યજીદ પાસે પચાસ હજારનું લશ્કર! કોઈ ક્યાં સુધી બચવાનું હતું? ઇતિહાસની આ નાનામાં નાની લડાઈ હશે. જે ફકત ચાર કલાક જેવી ચાલી હશે એમ મનાય છે.જ્યારે બધાં રસુલનાં કુટુંબનાં પુરુષો શહીદ થઈ ગયાં તો મક્કાર યજીદે રસુલનાં કુટુંબની સ્ત્રીઓને લૂટી અને એમની ચાદરો ઝૂંટવી. આમ હુસૈનના ઘરને બરબાદ કરવામાં આવ્યું .
હઝરત મુસ્લિમ એ પહેલા શહીદ હતા . કુફાથી જ્યારે 12,000 પત્રો મળ્યાં અને 22,000 સહીઓ મળી ત્યારે એમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવા માટે ઇમામ હુસૈન પોતાના કાકાના દીકરા હઝરત મુસ્લિમને કુફા મોકલે છે. 15મી રમઝાન સન 60 હિઝરી એ તેઓ મક્કાથી કુફા જવા રવાના થયા. સવાલ મહિનાની 5 તારીખે સન 60 હિઝરી તેઓ કુફા પહોંચી ગયા. અને એક શિયાના ઘરમાં ઉતારો કર્યો. કહેવાય છે કે 12,000 અથવા 18,000 અથવા 40,000 લોકોએ હઝરત મુસ્લિમના હાથ પર બયત કરી. 40 દિવસ સુધી બયત થતી રહી, પછી હઝરત મુસ્લિમે ઇમામ હુસૈનને પત્ર લખ્યો કે ,” હું જે લખું તે સાચું છે. કુફાના મોટા ભાગનાં લોકો તમારી બયત કરવા તૈયાર છે તમે તરત કુફા આવી જાઓ.”
ત્યારબાદ ઈબ્ને ઝિયાદ કુફામા છૂપા વેશમાં આવી ગયો, એની સાથે 500 બસરાના સૈનિકો હતાં.લોકોને ખબર હતી ઇમામ હુસૈન આવવાના છે એમને એમ કે ઇમામ હુસૈન આવી ગયા, પણ છૂપા વેશે ઈબ્ને ઝિયાદ કુફામાં દાખલ થઇ ગયો અને લોકોને ડરાવી ડરાવીને હુસૈનની વિરુદ્ધ કરી દીધા. તેને ઇનામ જાહેર કર્યું કે જે કોઈ હઝરત મુસ્લિમની ખબર આપશે એને મોટું ઇનામ આપવામાં આવશે. અને જો કોઈ હઝરત મુસ્લિમને સહારો આપશે એને કતલ કરવામાં આવશે. હઝરત મુસ્લિમ કુફાની ગલીયોમાં ફરતા રહ્યા. પછી તોઆ નામની એક ઇમામ હુસૈનને માનવાવાળી સ્ત્રીએ એમને પનાહ આપી. આખી રાત ઇબાદતમાં ગુજારી. 9 જીલહઝ 60 હિઝરી ના દિવસે તોઆના દીકરાને હિસાબે એના ઘરની તલાશી લેવાઈ. હઝરત મુસ્લિમ ઘરની બહાર આવી ઘણા દુશ્મનોને વાસીલે જહન્નમ કરી દીધાં. પણ અંતે ઈબ્ને ઝિયાદના સિપાહી એમને દરબારમાં લઇ ગયા. એમને બકર બિન હમરાનને હવાલે કરવામાં આવ્યા. એમને દારુલ અમારાની છત પર લઇ જઈ એમનું સર કલમ કરી નાખવામાં આવ્યું. એમના શરીરને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યું. પછી એમના શરીરને બાંધીને કુફામા ઢસડવામાં આવ્યું. આમ હઝરત મુસ્લિમને શહીદ કરવામાં આવ્યા.
સપના વિજાપુરા
2 Mar 2024
આભાર પ્રદીપભાઈ! ન્યુઝ ઓફ ગાંધીનગરમાં મારો આસ્વાદ લેવા માટે!

31 Aug 2023

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!
કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.
ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.
આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!
ભારતમાં દરેક સંબંધ સાથે કોઈ ને કોઈ તહેવાર જોડાયેલો છે. પતિપત્ની સાથે ભાઈબહેન સાથે. રક્ષાબંધનની પ્રથા શ્રી કૃષ્ણના સમયથી ચાલુ થઇ. શ્રી કૃષ્ણની આંગળી પર ઘા થયો તો દ્રૌપદીએ પોતાની સાડી ચીરી એમાંથી એ ઘા પર પટ્ટી બાંધી એ સમયે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરવાનું પણ લીધું અને નિભાવ્યું.
કવિ શ્રી અનિલ ચાવડાના નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. એમણે આ ગઝલ મને મોકલી અને મને એનો આસ્વાદ કરવાની તક મળી.
મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
બહેન પોતાના ભાઈ માટે હંમેશા પ્રાર્થના કરતી હોય છે. અને એમની સલામતી માટે દુઆ કરતી હોય છે. ખૂબ સાદો અને સમજાય જેવો શેર છે. ભાઈ પણ દુઆ કરે છે કે તે મારા રક્ષણ માટે મારા હાથમાં રાખડી બાંધી છે, તો હે પ્રભુ તું મારી બહેની આંખમાં ક્યારેય આંસુ આવવા નહિ દેતો. ભાઈ ભારે હૈયે બહેનને પારકાને સોંપી દે છે પણ હૃદયથી હંમેશા બહેન માટે દુઆ કરતો રહે છે.
છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!
પોતાના કુટુંબની સરખામણી એક વૃક્ષ સાથે કરીને ભાઈ કહે છે કે ,” પિતા આપણા થડ જેવા છે. જેની ઉપર આખું વૃક્ષ ટકેલું છે. માતા છે ડાળી અને હું તો બસ એક પાન છું અને બેનડી તું છે નાજુક ફૂલની પાંખડી સમી. પણ ફૂલની એ પાખડીની મહેક આખા વૃક્ષને મહેકતું રાખે છે. કોણ કોને આધારે છે એ કહેવું મુશ્કિલ છે. એકબીજાને સહારો આપે એજ સારા સંબંધની નિશાની છે. થડ વગર ડાળી નહિ ડાળી વગર પાન નહિ પાન વગર ફૂલ નહિ અને ફૂલ વગર પાંખડી નહિ. બધાં એક બીજાનું રક્ષણ કરે છે.
કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.
ભાઈ જો ખોટા માર્ગે ચાલે તો બહેન જ એની માર્ગદર્શક બની જાય છે. ખાસ કરીને મોટી બહેન હોય તે તો માર્ગદર્શક બને જ છે. વળી સાચના ચશ્મા પહેરાવીને સાચી દુનિયા બહેન બતાવી શકે છે. અને ભાઈના માર્ગમાં જો કાંટા આવે તો બહેન એની ચાખડી બની જાય છે. એક એક કાંટો એ પોતાની પલકો પર ઉઠાવીને ભાઈનો માર્ગ સાફ કરે છે.
ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.
જ્યારે પોતાનું ધાર્યું ના થાય અને ભાઈઉપર કોઈ આફત આવી પડે તો મા સાથે મળીને બાધા અને આખડી બહેન કરે છે. મને યાદ છે મારો ભાઈ માંદો પડ્યો તો મારી બહેને મારા ભાઈ માટે એવી બાધા રાખેલી કે મારા ભાઈને હું માંગેલા કપડાં પહેરાવીશ અને જેને ઘરે નાના બાળકો હોય ત્યાં કપડાં માંગવા જાય અને ભાઈ સાજો થયો નહિ ત્યાં સુધી માંગેલા કપડાં પહેરાવ્યાં .
આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!
રક્ષાબંધન હોય અને રાખડી બાંધવા માટે બહેન હજારો માઈલ દૂર હોય ત્યારે ભાઈની એકજ ઈચ્છા હોય કે બહેન ક્યારે મારી આરતી ઉતારે અને રાખડી બાંધે! પણ સમય અને સંજોગ એવું થવા દેતા નથી ત્યારે ભાઈનું હૈયું બહેનને યાદ કરીને ભરાઈ આવે છે.અને આંખમાંથી શ્રાવણ ભાદરવો છલકાઈ જાય છે. બહેનની યાદ ભાઈને રડાવી દે છે. બહેન દૂર હોય કે નજીક પણ બહેનની દુઆ હંમેશા તમારી સાથે હોય છે. અને તમારા આશીર્વાદની મોહતાજ હોય છે. ખૂબ સુંદર ભાઈબહેનની પ્યાર છલકાવતી ગઝલ! અભિનંદન અનિલભાઈ! સૌને રક્ષાબંધનની શુભેચ્છા!
સપના વિજાપુરા
1 Aug 2023

31 Jul 2023

28 Jul 2023

27 Jul 2023
સપના વિજાપુરા